સ્વામિનારાયણ ભગવાન
વિકિપીડિયા થી
આજથી સવા બસો વર્ષ પહેલાં આ ભારતીય સંસ્કૃતિને તોડનારાં અનેક પરિબળો ઉભાં થયાં હતાં. વહેમ, અજ્ઞાન, અંધશ્રદ્ધા, નિરક્ષરતા અને કુરિવાજોનાં જાળાં બંધાઇ ગયાં હતાં. ચારે તરફ અંધાધૂંધી હતી એ સમયે અયોઘ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ -૯ને સોમવાર તા. ૨-૪-૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય થયું. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.
છપૈયાપુરમાં અનેક પ્રકારની બાળલીલાઓ કરી અનેક નરનારીને પોતાની તરફ આકષ્યાô. કાલીદત્ત જેવા મોટા-મોટા અસુરોનો નાશ કરી નગરજનોની રક્ષા કરી. નાની વયે સંસારનો ત્યાગ કરી વનમાં ૭ વર્ષ ૧ માસ ૧૧ દિવસ સુધી સારાય ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામીએ ૧૮૫૭ના કારતક સુદ અગિયારસને તા. ૨૮-૧૦-૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.
સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી તા. ૧૬-૧૧-૧૮૦૧ દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યાં. (૧) તમારા ભકતને એક વીંછીનું દુ:ખ થવાનું હોય, તેને બદલે એ દુ:ખ રુવાંડે, રુવાંડે અમને થાઓ પણ તમારા ભકતને ન થાઓ. (૨) તમારા ભકતને કર્મમાં રામપાતર આવવાનું લખ્યું હોય તો તે રામપાતર અમને આવે, પણ તમારો ભકત અન્ન, વસ્ત્રે દુ:ખી ન થાય. આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ રાજી થઇને આપ્યાં.
સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. ત્યારથી સમગ્ર અનુયાયી વર્ગ સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યો અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાંય જગમાં પ્રસિદ્ધ થયો.
પછી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દીવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઇ મુખ્ય ગણાતા. ધોળા દિવસે વડોદરાનું રાજય તેઓ લૂંટી લેતા. તલવારની ધાર કેવી નીકળી તે જોવા માટે ભરબજારે એકસાથે સો-બસો માણસોને પીંખી નાખતા અને હસતાં-હસતાં કહેતા શું તલવારની ધાર નીકળી છે!
આવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ ભગવાને હાથમાં માળાઓ આપી દીધી. કપાળમાં નયનરમ્ય તિલક-ચાંદલા કરતા કરી દીધા અને સંતોની સાથે ગામડે-ગામડે ફરી અનેક સત્સંગ કરાવતા કરી દીધા અને જનસમાજને ડાકુઓથી બચાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે સ્વામિનારાયણ ભગવાને લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરી. પતિની પાછળ પત્નીને પણ પરાણે ભડભડતી ચિત્તામાં નાળિયેર હોમે તેમ હોમી દેવામાં આવતી આવા ભયાનક અને ક્રૂર કુરિવાજોને સ્વામિનારાયણ ભગવાને જાકારો દીધો.
હિંસામય યજ્ઞોમાં અનેક નિર્દોષ પશુઓને હોમી દેવામાં આવતાં. આવા હિંસાયમ યજ્ઞનો નિષેધ કરી અહિંસામય યજ્ઞો જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ કરીને જનસમાજને શાસ્ત્રોકત રીતે આવા અહિંસામય યજ્ઞો કરવાની પ્રેરણા આપી. વહેમ, અંધશ્રદ્ધાનાં જાળાં તોડયાં અને દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજૉ આદિ વ્યસનોથી પીડાતા જનોને મુકિત આપી આર્થિક રીતે પણ સુખી કર્યા.
આવી રીતે અનેકાનેક ઉપાયો કરીને સ્વામિનારાયણ ભગવાને ઘોર અંધકારમય વાતાવરણમાં જે સમાજ જીવતો હતો તેને ભારતીય સંસ્કòતિ શું છે? આપણા વેદ અને ધર્મશાસ્ત્રો કેવી રીતે જીવન જીવવાનું કહે છે તે સમજાવ્યું અને હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી.
માત્ર ૨૮-૨૯ વર્ષના નાના ગાળામાં આખા ભારતદેશની રોનક બદલાઇ ગઇ. સત્સંસ્કારો વૃદ્ધિને પામે તે અર્થે સ્વામિનારાયણ ભગવાને ૧૨૦૦થી પણ વધુ સંતો બનાવ્યા. ગામે-ગામે ફરી અનેકને સદાચારી જીવન જીવતા કર્યા.